પશ્ચિમ બંગાળ, આસામમાં જીત પછી મોદીએ કહ્યું, “હું ચૂંટણીપંચનો પણ આભાર માનું છું…”
પશ્ચિમ બંગાળ, આસામની ચૂંટણીમાં ભાજપની ‘મોટી જીત’ પછી વડા પ્રધાન મોદીએ દિલ્હીમાં ભાજપ કાર્યાલયથી કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.
તેમણે કહ્યું હતું કે, “આજનો દિવસ ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે. જ્યારે વર્ષોની સાધના સિદ્ધિમાં બદલાય છે ત્યારે ચહેરા પર જે ખુશી દેખાય છે એ ખુશી દેશભરના ભાજપના કાર્યકર્તાઓના ચહેરા પર દેખાઈ રહી છે.”
“આ ભારતની મહાન લોકશાહી પર ભરોસાનો દિવસ છે. આ સ્થિરતાના સંકલ્પમાં ભરોસાની વાત છે. હું બંગાળ, આસામ, તામિલનાડુ, કેરળ અને પુડુચેરીની જનતાનો અને ભાજપના કાર્યકર્તાઓનો હ્રદયથી ધન્યવાદ કરું છું.”
આ સિવાય તેમણે કહ્યું હતું કે, “પાંચ પ્રદેશોની જનતાએ સમગ્ર વિશ્વને દેખાડ્યું છે કે ભારત ‘મધર ઑફ ડેમોક્રેસી’ કેમ છે. આજે માત્ર ભારતનું લોકતંત્ર જ જીત્યું નથી, બંધારણ પણ જીત્યું છે. બંધારણીય સંસ્થાઓ પણ જીતી છે. પશ્ચિમ બંગાળમાં 93 ટકા મતદાન થવું એ જ સૌથી ઐતિહાસિક વાત હતી. આ જીતમાં મહિલાઓની ભાગીદારી પણ ઘણી વધારે રહી છે.”
આ ભાષણમાં પીએમ મોદીએ ચૂંટણીપંચ અને ચૂંટણી કર્મચારીઓ તથા સુરક્ષા કર્મચારીઓનો પણ આભાર માનતા કહ્યું હતું કે તેમણે લોકશાહીને બચાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેમની કામગીરીને વર્ષો સુધી યાદ રખાશે.
વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે, “હવે ગંગોત્રીથી લઈને ગંગાસાગર સુધી બધે કમળ જ કમળ ખીલ્યું છે. મા ગંગા પછી બ્રહ્મપુત્રા અને મા કામાખ્યાનો પણ આપણા પર આશીર્વાદ રહ્યો છે.”